મુ. શ્રી જશીબહેન – શતાબ્દી વંદના
તા. ૧૮ નવેમ્બર ૨૦૧૭ના રોજ સરસ્વતી વિદ્યામંડળના વડીલ મુ.શ્રી જશીબહેન નાયકનો ૯૯મો જન્મદિવસ સરસ્વતી પરિવારે આનંદ અને ઉત્સાહપૂર્વક ઉજવ્યો. મુ.શ્રી જશીબહેન જીવનના ૯૯ વર્ષ પૂરા કરી ૧૦૦ વર્ષે પ્રવેશ કરે તે ઘટના સરસ્વતી વિદ્યામંડળ માટે એક યાદગાર પ્રસંગે છે.
જશીબહેન શતાબ્દી વંદના કાર્યક્રમમાં સરસ્વતી વિદ્યામંડળના ટ્રસ્ટી મંડળ, સંચાલન મંડળના સભ્યો, પૂર્વ આચાર્યો, શિક્ષકો, સારસ્વતો અને સમગ્ર સારસ્વત પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી સંગીતવૃંદ દ્વારા મંગલગીતથી શરૂ કરી હતી. સરસ્વતી વિદ્યામંડળના મંત્રી શ્રી જ્યોતીન્દ્રભાઈ દવેએ સૌને આવકાર આપી પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું કે આજનો દિવસ સરસ્વતી પરિવાર માટે અવિસ્મરણીય છે. મુ.શ્રી જશીબહેનની ૯૯ વર્ષની જીવનયાત્રામાં બાળકો અને શિક્ષણ જ કેન્દ્ર સ્થાને રહ્યા છે. તેમ જણાવી શુભેચ્છા અને વંદન પાઠવ્યા હતા.
સરસ્વતી વિદ્યામંડળના ટ્રસ્ટીઓ અને સંચાલન સમિતિ તરફથી શ્રી ઉપેન્દ્રભાઈ પટેલે તેમની લાક્ષણિક શૈલીમાં ગીત અને કવિતાથી શુભેચ્છા અને વંદન પાઠવ્યા હતા. આચાર્યો વતી અસારવા વિદ્યાલયના આચાર્યા શ્રી તૃપ્તીબહેન ત્રિવેદીએ શુભેચ્છા પાઠવી હતી. વિદ્યામંડળના શિક્ષકો વતી જે.એન. બાલિકા વિદ્યાલયના શિક્ષકશ્રી વનીતાબહેન વાછાણીએ શાબ્દિક વંદના કરી હતી. સરસ્વતી શાળાના પૂર્વ વિદ્યાર્થીઓના સંગઠન સરસ્વતી નાગરિક સમાજ વતી પૂર્વ વિદ્યાર્થી અને બૅન્ક ઑફ ઈન્ડિયાના રીટાયર્ડ ડે. જનરલ મેનેજર શ્રી ગણેશભાઈ ચૌહાણે પ્રસંગોચિત પ્રવચન કરી મુ.શ્રી જશીબહેનને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. પરિવાર વતી શ્રી પ્રશાંતભાઈ નાયકે મુ.શ્રી જશીબહેનને જન્મદિનની શુભેચ્છાઓ આપી હતી.
પરિવારની શુભેચ્છાઓ અને વંદનાનો પ્રતિભાવ આપતા મુ.શ્રી જશીબહેને વિદ્યામંડળની સ્થાપનાના દિવસોને યાદ કરી જણાવ્યું કે સંસ્થાના શરૂઆતના દિવસો મુશ્કેલીઓ અને સંઘર્ષના હતા. સંસ્થાના વિકાસમાં સરસપુરના અગ્રણીય નાગરિકો શ્રી વિમળભાઈ શાહ, શ્રી અમૃતભાઈ પટેલ, શ્રી નવનીતલાલ શેઠનો સમજપૂર્વકનો સહકાર મળ્યો હતો. સંસ્થાના વિકાસ અને વિસ્તારમાં પૂર્વ આચાર્યો, શિક્ષકો અને અન્ય કાર્યકરોના યોગદાને પણ મહત્વનો ફાળો આપ્યો છે.
હાલના સંચાલન મંડળના સભ્યો, મંત્રી, સહમંત્રી અને આચાર્યો, સંસ્થાના વિકાસ માટે સક્રિય છે. તે અંગે મુ.શ્રી જશીબહેનને સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. સરસ્વતી વિદ્યામંડળ આવનારા અનેક વર્ષો સુધી મૂલ્યોનું જતન કરે અને વિસ્તાર પામે તેવા આશીર્વચનો આપ્યા હતા. જન્મદિન ઉજવણી અને શતાબ્દી વર્ષના કાર્યક્રમોના આયોજન માટે શ્રી જશીબહેને આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમના ભાગરૂપે સરસ્વતી શાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. જેમાં ૧૨૫થી વધુ બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમના અંતે સરસ્વતી વિદ્યામંડળના સહમંત્રીશ્રી સજુભા ઝાલાએ આભારવિધિ કરતા જણાવ્યું કે વંદના કાર્યક્રમના પ્રસાદ માટે એક શુભેચ્છકે રૂ. ૫૦,૦૦૦/-નું યોગદાન આપ્યું છે તથા ઘરશાળા સંપાદક મંડળના સભ્યશ્રી અમીતાબહેન પાલખીવાલાની પ્રેરણાથી પૂર્વ વિદ્યાર્થી શ્રી શ્રીપાલ પટેલ દ્વારા ઘરશાળાના ૧૦૦ વાર્ષિક લવાજમ માટે રૂ. ૧૫૦૦૦/-ની મદદ કરી છે. તે દાનવીરો પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી હતી.
કાર્યક્રમની તૈયારી અને આયોજનમાં રાત-દિવસ જાયા વગર યોગદાન આપવા માટે પૂર્વવિદ્યાર્થીઓ શ્રી દિલિપસિંહ સોલંકી, શ્રી કલ્પેશભાઈ પટેલ અને શ્રી મનીષભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો.